જીવન સ્થિર લાગે છે...

મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે,
કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર લાગે છે.

નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં,
મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર લાગે છે.

ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી,
મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે.

નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઈની જાણે જૂની તસ્વીર લાગે છે.

ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

એ મુક્તિ હો કે બંધન હો, ચરણનો હાલ છે એક જ;
પ્રથમ લાગ્યાં હતાં કાંટા, હવે જંજીર લાગે છે.

નહીં તો વાદળી વરસ્યા વિના વિખરાઈ ના જાયે,
ધરા જેમ જ ગગનમાં ઝાંઝવાનાં નીર લાગે છે.

લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.

- બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)