મનુષ્યત્વનું સ્તર રોજબરોજ નીચું જતું જાય છે

સંગીતના અલ્પાનુભવથી એ પરમ સંગીત ભણી જઈ શકાય છે, પ્રકાશના નાનકડા અનુભવને આધારે અનંત પ્રકાશ ભણી વધી શકાય છે. એક બિંદુને ઓળખવું તે સિંધુને ઓળખવાનું પહેલું પગથિયું છે. નાનકડા અણુને જાણવાથી પદાર્થની બધી શકિત જાણી શકાય છે. સંભોગનું નાનું અણુ માણસને પ્રકૃતિ તરફથી મફતમાં મળ્યું છે, પરંતુ આપણને એની ઓળખ નથી. પીઠ ફેરવીને, આંખો બંધ કરીને ગમે તેમ જીવી લઈએ છીએ. આપણા મનમાં એનો સ્વીકાર નથી. આનંદ અને અહોભાવથી ને જીવવાની, જાણવાની, એમાં પ્રવેશ કરવાની કોઈ વૃત્તિ જ નથી. એટલે જ સંભોગને સમાધિ બનાવનાર વિધિના જ્ઞાનથી આપણે વંચિત રહ્યા છીએ. માણસ આ વિધિ જાણી લેશે તો આપણે નવા પ્રકારના માનવને સર્જવા સમર્થ બનશું.

આ સંદર્ભમાં મારે તમને એ કહેવાનું છે કે સ્ત્રી અને પુરુષ તો વીજળીના નેગેટિવ-પોઝિટિવ પોલ છે. પોઝિટિવ ને નેગેટિવ -વિધાયક ને નકારાત્મક બે છેડા છે. એ બંનેના મળવાથી સંગીત જન્મે છે, વિધુતનું પૂર્ણ ચક્ર જન્મે છે.

હું એ પણ કહેવા માગું છું કે સંભોગ લાંબો સમય ગહનતામાં સ્થિર રહે તો આ વિધુત ઘટનાનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય. સ્ત્રી અને પુરુષનું યુગલ જો અડધો કલાક સુધી મૈથુનમાં સ્થિર રહી શકે તો બંનેની આસપાસ પ્રકાશનું વલય નિર્મિત થઈ શકે છે. બંનેના દેહની વિધુત જયારે પૂર્ણ રીતે મળે છે, ત્યારે આસપાસ અંધકારમાં એક પ્રકાશ જોવા મળે છે. કેટલાક શોધકોએ આ દિશામાં સંશોધન કર્યું છે અને ફોટોગ્રાફસ પણ લીધા છે. જે યુગલને વિધુતનો અનુભવ થાય છે, એ હંમેશને માટે સંભોગમાંથી મુકત થઈ જાય છે.

પરંતુ, આપણને એવો અનુભવ નથી અને એવી વાતો અજબ લાગે છે. કારણ કે જે આપણા અનુભવનું ન હોય તે વિશ્વસનીય નથી લાગતું. આ તો આપણા અનુભવમાં નથી, અનુભવની બહાર છે. જો અનુભવ નથી તો એનો અર્થ એટલો જ કે તમે ફરી વિચારો, ફરીને જુઓ, કંઈ નહીં તો કામની જિંદગીનો કક્કો તો શીખો અને સમજો. સમજવા માટે, સભાનપણે જીવવા માટે કામને માત્ર ભોગ નહીં, યોગ બનાવવો પણ આવશ્યક છે. મારું પોતાનું માનવું છે, કે મહાવીર, બુદ્ધ, ઇસુ અને કૃષ્ણ આકસ્મિક રૂપે જન્મી જતા નથી. બે વ્યકિતઓના પરિપૂર્ણ મિલનનું એ પરિણામ હોય છે.

મિલન જેટલું ગાઢ, જન્મનાર સંતતિ એટલી જ અદભૂત થવાની. મિલન જેટલું અપૂર્ણ, થનાર સંતતિ એટલી જ નિકૃષ્ટ થવાની. આજ દુનિયામાં મનુષ્યત્વનું સ્તર રોજબરોજ નીચું જતું જાય છે. લોકો કહે છે, નીતિ બગડવાથી એમ થયું છે, કળિયુગ આવવાથી એમ થયું છે. આ બધી ખોટી નકામી વાતો છે. ફરક માત્ર સંભોગે પવિત્રતા ગુમાવી છે, પ્રાર્થના ગુમાવી છે, સરળતા ને પ્રાકૃતિકતા ગુમાવી છે.

મનુષ્યનો સંભોગ એક દુ:ખદ સ્વપ્ન થઈ ગયો છે. સંભોગે હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું છે. એ પ્રેમપૂર્ણ કૃત્ય નથી, પવિત્ર ને શાંત કૃત્ય નથી, ઘ્યાનપૂર્ણ કૃત્ય નથી. એથી મનુષ્ય પતિત થતો જાય છે. નીચે ઊતરતો જાય છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)