મઝધારને માઠું લાગ્યું છે - ‘નાઝ’ માંગરોલી

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે;
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકાર નિરંતર લાગે છે.

આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત ! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.

દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.

- ‘નાઝ’ માંગરોલી

સ્ત્રોત

1 comment:

  1. આહલાદક અને અદ્ભુત ગઝલ...વારંવાર વાંચવાનું મન થાય એવી
    -ઈર્શાદ શેખ

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)