Showing posts with label અદી મિરઝાં. Show all posts
Showing posts with label અદી મિરઝાં. Show all posts

મને કહેજે.....

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે.

શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે.

મુસીબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે.

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે.

- અદી મિરઝાં,

તો જોઇ લેવા દે..

આ દોસ્તોની લગનને તો જોઇ લેવા દે
મરું એ પહેલાં કફનને તો જોઇ લેવા દે.

પછી નજરમાં કોઇ ફૂલ પણ ખટકશે મને,
બસ એક વાર ચમનને તો જોઇ લેવા દે.

ઓ મારા મોત, ઘડી બે ઘડી તો થોભી જા!
જરા ફરીને વતનને તો જોઇ લેવા દે.

નથી, મેં જોયું કદી એને આંખ ઉઠાવીને,
ઓ દિલ, હવે આ જીવનને તો જોઇ લેવા દે.

નકાબ ઓઢી હતી જેને ઉમ્રભર તારી
ઓ પ્રેમ, એના વદન ને તો જોઇ લેવા દે.

- અદી મિરઝાં

ખુદા પાસે હવે શું માંગશે ?

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)